દરેક ઘરમાં આપણે પૂજાઘર જોતા જ  હોઇએ છીએ. ભગવાનનું સ્થાન હંમેશા પ્રથમ રહેતું હોય છે. તેથી જ લોકો ઘરમાં પૂજાઘર રાખવા માટેની ખાસ જગ્યા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નક્કી કરતા હોય છે. તે ઉપરાંત પૂજાઘર પણ કેવું રાખવું તે પસંદ કરતા હોય છે. ઘરમાં પૂજાઘરનું ડેકોરેશન પણ એટલું જ જરૂરી છે, જેટલું અન્ય બાબતોમાં આપણે ધ્યાન રાખીયે છીએ. સવારે ઊઠીને જ ભગવાનના દર્શન માત્રથી આપણો દિવસ સુંદર બની જતો હોય છે. જેના કારણે હકારાત્મક વિચારો આપણામાં પ્રવેશ કરે છે.

પૂજાઘરની ડિઝાઇન અને તેની બનાવટના અનેક પ્રકાર છે. ઘણા લોકોના ઘરમાં ઓક્સોડાઇઝનું પૂજાઘર, લાકડાનું પૂજાઘર, આરસનું પૂજાઘર વગેરે પસંદગી પ્રમાણે રાખવામાં આવે છે. જોકે પૂજાઘરને ઘરમાં ખાસ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ગોઠવવામાં આવે છે, તેથી ઘણી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પૂજાઘરમાં સ્થાપિત થયેલા ભગવાનને ઘરમાં બનતી દરેક નાની મોટી ઘટનાઓની અસર થતી હોય છે. તેથી આપણા દ્વારા ક્યારેય પણ કોઇ ખોટી વાત બની જાય તો આપણે તેના માઠા પરિણામની તૈયારી રાખવી પડે છે.

જોકે ઘરમાં ભગવાનનું પૂજાઘર કે સ્થળ અલગ જ હોવું જોઇએ પણ કેટલાક ઘરમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે ભગવાનના પૂજાઘરને રૂમમાં કે રસોડામાં રાખવામાં આવે છે. તમે જ્યારે પણ તમારા ઘરના વાસ્તુનો વિચાર કરી રહ્યા હો તો તેમાં સૌથી મહત્વનો પૂજારૂમ ગણાતો હોય છે. આ એક એવો રૂમ છે, જ્યાં દેવતાઓ બિરાજમાન હોય છે. પૂજાઘર તમારા ઘરની સુખ સમૃદ્ધિ અને આનંદ જળવાઇ રહે તે માટે જરૂરી છે. જો પૂજાઘર યોગ્ય વાસ્તુ પ્રમાણે રાખવામાં આવ્યું હશે તો મનની શાંતિ માટે તે સૌથી મહત્વનું બની રહે છે. તેથી દિવસે સવાર અને સાંજના સમયે ભગવાનની પૂજા કરવી જરૂરી છે. તે બાબતને સાચવી લેવું વધારે મહત્વનું બની જાય છે. સાથે જ આપણી દિનચર્યા મુજબ તેમની દિનચર્યાને પણ જાળવવું મહત્વનું છે.

કહેવાય છે કે ભગવાન આમ તો દરેક સમયે જાગૃત અવસ્થામાં જ રહેતા હોય છે પણ રાત્રિના સમયે તેમને પ્રતિકાત્મકરૂપે વિશ્રામ કરાવવું જરૂરી છે. તેના માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જે રીતે દિવસ દરમિયાન કામ કરીને આપણને થાક લાગે છે અને રાત્રે આરામ કરીને બીજે દિવસે આપણે ફ્રેશ થઇ જઇએ છીએ, બસ એજ રીતે પ્રતિકાત્મક રૂપ દ્વારા ભગવાનને રાત્રે આરામ કરાવવો જોઇએ. જેના માટે રાત્રિના સમયે પૂજાઘરના પડદાને ઢાંકી દેવા જોઇએ.

પૂજાઘર માટે યોગ્ય સ્થાન કેવું હોવું જોઇએ

  • પૂજાઘર માટે સૌથી ઉત્તમ સ્થળ ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો છે. તે સિવાય પૂર્વ અને પશ્વિમ દિશા પણ વધારે લાભદાયક છે.
  • સંશોધન પ્રમાણે સૌથી સારી દિશા દક્ષિણ પૂર્વ અને ઉત્તર પશ્વિમ દિશાને પણ માનવામાં આવે છે.
  • પૂજાઘર માટે સૌથી નૂકસાનકારક સ્થળ દક્ષિણ પશ્વિમ દિશા ગણવામાં આવે છે.

મૂર્તિ કઇ રીતે રાખશો

  • મૂર્તિને પૂર્વ દિશામાં ગોઠવવી જોઇએ. મૂર્તિને પશ્વિમ દિશા જોવા મળે તેમ ગોઠવી શકાય, જેથી ભક્તોને પૂર્વ દિશા જોવા મળે છે.
  • કેટલાક સંશોધનો કહે છે કે મૂર્તિને પશ્વિમ દિશામાં પણ રાખી શકાય છે.
  • ઉત્તર અને દક્ષિણ દિશામાં મૂર્તિઓ માટે સ્થાન નથી.

પૂજાઘર માટેની સારી બાબતો

  • પૂજાઘર રૂમમાં જમીન પર રાખી શકાય તેવું હોવું જોઇએ.
  • પૂજાઘરવાળા રૂમમાં વ્યવસ્થિત હવાનું આવનજાવન હોવું જોઇએ.
  • તે રૂમમાં ખૂલ્લી જગ્યા હોવી જોઇએ. પૂજાઘરમાં સારી ગુણવત્તાવળા ડબલશટરવાળા દરવાજા હોવા જોઇએ.
  • પૂજાઘરના રૂમમાં દિવાલોનો રંગ સફેદ, હળવા પીળો રંગ કે વાદળી રંગનો હોવો જોઇએ.
  • મૂર્તિઓ વ્યવસ્થિત હોવી જોઇએ. ખંડિત ન હોવી જોઇએ.
  • મૂર્તિનું સ્થાન દિવાલથી દૂર હોવું જોઇએ.
  • દિવાબત્તી માટે અને પ્રસાદ માટેની તૈયારી પૂર્વની તરફ ચહેરો રાખીને કરવી જોઇએ.
  • અગરબત્તી માટે સારી સુગંધ મળી રહે તે માટે ચંદનનો ઉપયોગ કરવો જોઇએ.

પૂજાઘર માટેની ધ્યાન રાખવાની બાબતો

  • પૂજાઘર ઘરમાં શૌચાલયની નીચે ન હોવું જોઇએ.
  • ઘરમાં દાદરની નીચે પણ પૂજાઘર રાખી શકાય નહીં.
  • પૂજાઘર રૂમની બહારના ભાગમાં ન હોવું જોઇએ.
  • પૂજાઘર જે રૂમમાં રાખો ત્યાં કાળા રંગની દિવાલો ન હોવી જોઇએ.
  • જે લોકોનું નિધન થયું હોય તે લોકોના ફોટો પૂજાઘરમાં મૂકી શકાય છે.
  • ઘરના પ્રવેશદ્વારની સામે જ કે કોઇપણ રૂમના પ્રવેશદ્વારની સામે પૂજાઘર હોવું જોઇએ નહીં.
  • શક્ય હોય તો સૂવાના રૂમમાં પૂજાઘર ક્યારેય રાખવું નહીં.

 

  મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment