વાસ્તુમાં અનેક ઉપાય દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવી શકે. દરેક વ્યક્તિ માટે મોંધા અને કઠીન ઉપાય કરવા શક્ય હોતા નથી. તેવામાં તમે ફક્ત વાંસળીને ઘરમાં રાખીને હકારાત્મક ઊર્જા મેળવી શકો છો. તેનાથી સુખ-સમૃદ્ધિ લાવી શકો છો.
ઘરમાં તમે સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હો છો. ઘણીવાર ઇચ્છતા ન હો તેમ છતાંય પરિવારમાં અશાંતિનું વાતાવરણ ઊભુ થઇ જતું હોય છે. સમસ્યાઓનું સમાધાન મળતું નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા જઇએ તો આ સમસ્યાઓના સમાધાન માટે ઘરમાં વાંસળી રાખવી લાભકારક હોઇ શકે છે. તેને રાખવાથી ઘરમાં રહેલા વાસ્તુદોષોને દૂર કરી શકાય છે અને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઇ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીને હંમેશા પોતાની સાથે જ રાખતા હતા. પ્રેમ અને શાંતિનો સંદેશ આપનારી વાંસની વાંસળી તેમની શક્તિ હતી. વાસ્તુ પ્રમાણે પણ માનવામાં આવે છે કે જે ઘરમાં વાંસળી હોય તો ત્યાં કૃષ્ણનો વસવાટ હોય છે. જેના કારણે તેમની કૃપા હંમેશા આર્શીવાદ રૂપે જળવાઇ રહે છે. જો વાંસળી ઘરમાં હોય તો ક્યારેય ધન કે ઐશ્વર્યની ઊણપ હોતી નથી.
નકારાત્મક ઊર્જાને દૂર કરે
વાંસળીને સંમોહન, આનંદ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ તેની મધુર ધૂનથી આકર્ષિત થઇ જતી હોય છે. વાંસળી વગાડતી વખતે તેમાંથી જે ધૂન ઉત્પન્ન થાય છે તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને હકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. જેના કારણે મન પ્રફલ્લિત રહે છે. વાંસળીના સૂર પ્રેમ વરસાવે છે, તેથી જે ઘરમાં તેના સૂર સાંભળવા મળે તે ઘરમાં પરસ્પર પ્રેમ અને આનંદ હંમેશા જળવાઇ રહે છે.
વાંસળીનો ઉપયોગ
ઘરમાં વાંસળી એવા સ્થાપ પર ગોઠવો કે લગાવો જ્યાં વારંવાર તમારી નજર પડતી હોય. આ રીતે કરવાથી હકારાત્મક ઊર્જાનો સંચાર થશે અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે.
- જો ઘરમાં કોઇ વ્યક્તિ બિમાર રહેતું હોય તો તેના રૂમમાં દરવાજા પર અથવા તો તકીયાની નીચે વાંસળી રાખવાથી સ્વાસ્થ્યમાં લાભ થશે.
- જો તમારો બિઝનેસ કે ધંધામાં મુશ્કેલી આવતી હોય તો ઓફિસના દરવાજા પર બે વાંસળી લગાવો.
- આધ્યાત્મિક રૂપથી ઉન્નતિ માટે તેમજ કોઇ પ્રકારની સાધનામાં સફળતા મેળવવા માટે તમારા પૂજા ઘરના દરવાજા પર વાંસળી લગાવવાની સાથે જ તમને સફળતા પ્રાપ્ત થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાંસળી ક્યારેય સીધી લગાવવી જોઇએ નહીં. તેને ત્રાંસી લગાવવાથી શુભ પરિણામ મળે છે.
- જન્માષ્ટમીના દિવસે નવી વાંસળીને સજાવીને શ્રી કૃષ્ણની સમક્ષ રાકીને તેની પૂજા કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહેશે.
- જો વધારે પ્રમાણમાં માનસિક તણાવ રહેતો હોય, અથવા પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય, તો સૂતી વખતે તકીયાની નીચે વાંસળી રાખવાથી લાભ થશે.
- વાંસળીને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર સુંદર વાંસળી લગાવવાથી સમૃદ્ધિને આમંત્રણ આપે છે, જેના કારણે આર્થિક તંગી દૂર થાય છે.